ભરૂચ:
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., પંડવાઈ, તા. હાંસોટ, જિ. ભરૂચની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયાને વેગ મળ્યો છે. ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાબતના નિયમો-1982ના નિયમ-4 હેઠળ મળેલી સત્તાની રૂએ ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી, અંકલેશ્વર બી.એ. જાડેજા દ્વારા મંડળીના સભાસદોના પ્રતિનિધિની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જાહેર કાર્યક્રમ મુજબ તા. 7 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11 વાગ્યે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદાર યાદી પ્રાંત કચેરી, અંકલેશ્વર, મામલતદાર કચેરી હાંસોટ, મામલતદાર કચેરી અંકલેશ્વર, જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરી ભરૂચ તથા શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., પંડવાઈ ખાતે પ્રસિદ્ધ કરાશે.
મતદાર યાદી અંગે કોઈ વ્યક્તિ કે સંસ્થાને વાંધો કે સૂચન હોય તો યાદી પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-7માં એટલે કે 13 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત પ્રાંત કચેરી, અંકલેશ્વર ખાતે કરી શકાશે. સમયમર્યાદા બાદ મળેલા વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
14 ઓગસ્ટે વાંધા અરજીની સુનાવણી
મળેલ વાંધા અરજીઓની સુનાવણી 14 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 12 વાગ્યે પ્રાંત કચેરી, અંકલેશ્વર ખાતે કરવામાં આવશે. ત્યારબાદ 17 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 12:30 કલાકે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
અંતિમ મતદાર યાદી પણ પ્રાંત કચેરી અંકલેશ્વર, મામલતદાર કચેરી હાંસોટ, મામલતદાર કચેરી અંકલેશ્વર, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ભરૂચ તથા પંડવાઈ સ્થિત ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે પ્રસિદ્ધ કરાશે. ચૂંટણી પ્રક્રિયાને લઈને મતદાર સભાસદોને નિર્ધારિત સમયમર્યાદામાં વાંધા-સૂચનો રજૂ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
