ભરૂચ :
ભરૂચ શહેરના પારસીવાડ (વ્હોરવાડ) વિસ્તાર નજીક પાયોનીયર હાઇસ્કૂલ પાસે આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી છે. સ્મારકની સુરક્ષા, સલામતી, જાળવણી તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI), વડોદરા સર્કલ દ્વારા જુમ્મા મસ્જિદને ‘Living Monument’ ગણાવી તેની સુરક્ષા માટે The Ancient Monuments and Archaeological Sites and Remains Rules, 1959ના નિયમ-૭ અને ૮ની જોગવાઈઓનો સમાવેશ કરવા સૂચના આપવામાં આવી હતી. તેના આધારે અગાઉના જાહેરનામામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ સક્ષમ કેન્દ્રીય સરકારની પૂર્વ લેખિત મંજૂરી વિના સ્મારક પરિસરમાં બેઠક, સ્વાગત સમારોહ, પાર્ટી, પરિષદ કે મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે નહીં. જોકે, સ્મારકમાં પરંપરાગત રીતે પાળવામાં આવતા માન્ય ધાર્મિક રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અગ્નિશસ્ત્રો ચલાવવા પર પણ મનાઈ
સ્મારકના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડવું, પરિસરમાં અગ્નિશસ્ત્રો ચલાવવા કે ફોડવા, નિયત વિસ્તાર સિવાય રસોઈ બનાવવા અથવા ભોજન કરવા પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત ASIની પરવાનગી વિના ફેરી કરવી, માલસામાન વેચવો, જાહેરાત કરવી કે નાણાં લઈને મુલાકાતીઓને ગાઈડ તરીકે સ્મારકની મુલાકાત કરાવવી પણ પ્રતિબંધિત રહેશે.
સ્મારક પરિસરમાં ભિક્ષા માંગવા, પરંપરાગત ધાર્મિક પ્રથાઓનું ઉલ્લંઘન કરવા તેમજ જાળવણીના કામ સિવાય પ્રાણીઓને અંદર લાવવા અને નિર્ધારિત પાર્કિંગ સિવાય વાહનો પ્રવેશ કરાવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
જાહેરનામાની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચલી કક્ષાના ન હોય તેવા પોલીસ કર્મચારી કે અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.
