ભરૂચ:
ભરૂચ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં લાગુ પડશે.
જાહેરનામા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન તથા ગણેશ મૂર્તિના વિસર્જન સમયે શોભાયાત્રામાં ધાર્મિક ભજનો-ગીતો સિવાય ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો, બિભત્સ ગીતો વગાડવા તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવા ભાષણો કે સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
રાહદારીઓ અને વાહનચાલકો પર રંગ ઉડાડી શકાશે નહીં
ગણેશ સ્થાપના સ્થળો તેમજ વિસર્જન યાત્રા દરમિયાન જાહેર માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો, મકાન-મિલકતોમાં રહેલા લોકો ઉપર કોઈપણ પ્રકારના રંગ કે પાઉડર છૂટા, પાણી અથવા અન્ય તૈલી પદાર્થમાં ભેળવીને ઉડાડવા કે છાંટવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
આ ઉપરાંત P.O.P. અને ફાયબરની ગણેશ મૂર્તિઓ નદી, તળાવ, કેનાલ સહિતના કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જિત કરી શકાશે નહીં. જે ઓવારા પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હોય ત્યાં સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલા પાસ વિના અન્ય ઓવારા પર વિસર્જન કરી શકાશે નહીં.
મંડપ બે દિવસથી વધુ રાખી શકાશે નહીં
વિસર્જન પૂર્ણ થયા બાદ ગણેશ મંડળોના મંડપો બે દિવસથી વધુ સમય સુધી રાખી શકાશે નહીં. તેમજ વિસર્જન યાત્રા જાહેર માર્ગ પર સામાન્ય ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે કાઢી શકાશે નહીં.
કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ ખરીદવા કે સ્થાપવા તેમજ આવા પંડાલ, મંડપ કે ડેકોરેશન કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
રૂટ માટે પરમીટ ફરજિયાત
ગણેશ મંડળોના આયોજકોએ સ્થાપના અને વિસર્જન સમયે સરઘસ કે શોભાયાત્રા કાઢવાની હોય તો તેની સચોટ વિગતો સાથે સક્ષમ સત્તાધિકારી પાસે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય કોઈ રૂટ પર વિસર્જન યાત્રા કાઢી શકાશે નહીં.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચલી કક્ષાના ન હોય તેવા પોલીસ કર્મચારી કે અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.
