ભરૂચ :
નીટ પેપર લીક પ્રકરણને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પેપર લીક સહિતની પરીક્ષા ગેરરીતિઓના કારણે જીવન ટૂંકાવનારા યુવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પેપર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. તેમણે લાંબા સમયથી જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા યુવાનોના સંઘર્ષને સમર્થન વ્યક્ત કર્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની જીત સમાન છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી દમનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેની કોંગ્રેસ દ્વારા નિંદા કરવામાં આવી.
કોંગ્રેસના નેતાઓએ એવો પણ દાવો કર્યો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના સમર્થનમાં વડાપ્રધાનના આવાસ તરફ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના દબાણ બાદ સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું હોવાનું તેમણે જણાવ્યું.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા, પેપર લીકની ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગણી કરી.
