ભરૂચ :
માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના અનોખા સંકલ્પ સાથે બેંગલુરુના યુવા પ્રવાસી દિવાકર રેડ્ડી છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર દેશની એકલદોકલ મોપેડ યાત્રા કરી રહ્યા છે. તેમની આ અનોખી સફર દરમિયાન તેઓ અત્યાર સુધીમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી 998 દિવસની યાત્રા પૂર્ણ કરીને ભરૂચ પહોંચ્યા હતા.
દિવાકર રેડ્ડીએ 1 નવેમ્બર, 2023ના રોજ પોતાની ‘ઓલ ઈન્ડિયા રોડ સેફ્ટી ટૂર’ની શરૂઆત કરી હતી. યાત્રા દરમિયાન તેઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફરી લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલમેટ પહેરવા અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
તેમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને દરેક વ્યક્તિ રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરે તે માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. તેઓ જ્યાં-જ્યાં પહોંચે છે ત્યાં સ્થાનિક લોકો અને યુવાનો સાથે મુલાકાત કરી સુરક્ષિત વાહનચાલનનો સંદેશ આપી રહ્યા છે.
ભરૂચ ખાતે દિવાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ખૂબ જ સેવાભાવી, સહયોગી અને મહેમાનનવાજ છે, જેના કારણે તેમની યાત્રા વધુ યાદગાર બની છે.
તેમણે જણાવ્યું કે આગામી સમયમાં 2 લાખ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનું તેમનું લક્ષ્ય છે. તેમની આ અનોખી પહેલને વિવિધ સ્થળોએ લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.
