ભરૂચ :
ભરૂચ તાલુકાના સિમલિયા ગામે પરિવાર ભરૂચ ખાતે મોટાભાઈના ઘરે મહેમાનગતિએ ગયો હતો, તે દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી નકુચો તોડી ઘરમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂ.1.85 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સિમલિયા ગામે રહેતા અને દહેજની કંપનીમાં નોકરી કરતા જતીન જયંતીભાઈ પટેલ ગત તા.5 સપ્ટેમ્બરના રોજ પત્ની અને બાળકો સાથે ભરૂચ ખાતે રહેતા તેમના મોટાભાઈના ઘરે ગયા હતા. જતીનભાઈ ઘરે સહકારી દૂધની ડેરીનો વ્યવસાય પણ કરતા હોવાથી વિશાલ વસાવા ત્યાં કામ કરતો હતો.
વહેલી સવારે ડેરીના કામ માટે વિશાલ પાછળના દરવાજાની ચાવી લેવા/આપવા આવ્યો ત્યારે તેને મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. ઘરમાં સામાન પણ વેરવિખેર પડેલો જણાતા તેણે તાત્કાલિક જતીનભાઈને ફોન કરી જાણ કરી હતી.
માહિતી મળતાં જતીનભાઈ ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતાં રૂ.45 હજાર રોકડા તથા રૂ.1.40 લાખના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.85 લાખની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે જતીનભાઈએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.
