ભરૂચ:
વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે ભરૂચ શહેરના રુંગટા વિદ્યાભવન અને સંસ્કૃતિ સેવા સાક્ષરતાના સંયુક્ત ઉપક્રમે સાક્ષરતા અને શિક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રથમ તબક્કામાં રુંગટા વિદ્યાભવન ખાતે સાક્ષરતા અભિયાનના પ્રેરણાસ્ત્રોત કાંતિભાઈ રાણા તથા તેમની પ્રેરણાથી સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા નાગરિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાક્ષરતા માત્ર વાંચવા-લખવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચે તે માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સન્માન સમારોહ બાદ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સાક્ષરતા જાગૃતિનો સંદેશ આપતી વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રુંગટા વિદ્યાભવનના આચાર્ય અને સ્ટાફ, વિવિધ મહાનુભાવો તેમજ સંસ્થાના યોગી પટેલ સહિતના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ અને સાક્ષરતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
