ભારે વરસાદને પગલે ભરૂચ શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના અપાઈ હતી
ભરૂચ: જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાના આચાર્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શાળાઓ ચાલુ રાખવા કે બંધ રાખવાનો નિર્ણય લેવા સૂચના આપી હતી.
જારી કરાયેલી સૂચના અનુસાર, દરેક શાળાના આચાર્યોએ પોતાના વિસ્તારની વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું કે બંધ રાખવું તે અંગે નિર્ણય લેવાનો જણાવવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓની સુરક્ષા કોઈપણ સંજોગોમાં જોખમાય નહીં તેની ખાસ કાળજી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.
ખાસ કરીને ભરૂચ શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવ્યું હતું.
જ્યારે ભરૂચ શહેર સિવાયના અન્ય વિસ્તારોમાં સ્થાનિક વરસાદી પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થીઓ જ્યાંથી શાળાએ આવતા હોય તે વિસ્તારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર જણાય તો રજા જાહેર કરવાનો નિર્ણય લેવા આચાર્યોને જણાવવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકો અને આચાર્યોને પરિસ્થિતિ પર સતત નજર રાખી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.
