વાંકલ :
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર, સુરતના સહયોગથી માંગરોળ બ્લોક કચેરી ખાતે ‘TB મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિશેષ પોષણ સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સમીર ચૌધરીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષયરોગ (TB)ના દર્દીઓને સ્વાસ્થ્યલક્ષી સહાય પૂરી પાડવાના હેતુથી પ્રોટીન પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકામાં નોંધાયેલા આશરે 70 જેટલા TB દર્દીઓમાંથી પ્રથમ તબક્કામાં 50 જેટલા લાભાર્થીઓને પોષક સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. દર્દીઓને પોષણ સહાય મળી રહે અને તેમની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય સુધારવામાં મદદ મળે તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે તાલુકામાં TB દર્દીઓના ઝડપી પુનઃસ્વાસ્થ્ય માટે તથા TB મુક્ત ભારત અભિયાનને વેગ આપવા પ્રોટીન પાઉડર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આવા પોષણ સહાય કાર્યક્રમો દ્વારા દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ મળી રહે છે.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
