ભરૂચ :
આમોદ તાલુકાના ચકલાદ ગામના પાટિયા નજીક રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ જતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તથા વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચકલાદ પાટિયા નજીક રાત્રિના સમયે એક આધેડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે આધેડને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ ચકલાદ ગામના સરપંચ હિરલકુમાર અરવિંદ પઢિયાર દ્વારા આમોદ પોલીસને કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને વધુ વ્યવસ્થા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ અને તેમના વાલીવારસને શોધવા માટે આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધવા માટે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
