ભરૂચ :
ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા ‘ચાય પે નહીં, ચીની પર ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારીના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય પરિવાર પર વધતી મોંઘવારીનો બોજ લાદવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે સરકારની આર્થિક નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર, ભાજપના શાસનકાળ દરમિયાન સામાન્ય માણસને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈને સરકારની નીતિઓની ટીકા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 12 વર્ષમાં ભાજપે સામાન્ય પરિવારો પર 300 ગણી મોંઘવારીનો બોજ લાદ્યો છે. મોંઘવારીના કારણે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો હતો.
કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ મોંઘવારીના મુદ્દે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર દ્વારા સામાન્ય જનતાને રાહત મળે તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
