ભરૂચ.
તા. 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સફળ અને સુચારૂ આયોજન માટે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુપેરે નિભાવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે સુનિશ્ચિત થાય તે માટે સંકલન સમિતિ, સ્ટેજ કમિટી, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, મહેમાનો તથા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ અંગે પણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજન સાથે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મુકાયો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનિષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
