ભરૂચ :
ભરૂચ શહેરના વ્યસ્ત શ્રવણ ચોકડી બ્રિજ નીચે ગેરવ્યવસ્થિત અને ટ્રાફિકમાં અવરોધરૂપ બની રહેલા પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ક કરાયેલી બાઇકોને ડિટેઇન કરી પોલીસ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.
શ્રવણ ચોકડી વિસ્તાર રોજ હજારો વાહનોની અવરજવર ધરાવતો હોવાથી બ્રિજ નીચે આડેધડ પાર્ક કરાયેલા વાહનોને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હતો તેમજ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે. વાહનચાલકોએ માત્ર અધિકૃત સ્થળે જ વાહનો પાર્ક કરવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
જોકે, કંપનીની બસ પકડવા આવતા કેટલાક કર્મચારીઓએ પાર્કિંગની મર્યાદિત સુવિધાને કારણે પડતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને નિયમોના પાલનથી જ સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જાળવી શકાય છે.
આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો અને નિયમોનું પાલન કરાવવા પોલીસની સતર્ક કામગીરીને સ્થાનિકોએ પણ આવકારી હતી.
