ભરૂચ:
ભરૂચની કે. જે. ચોકસી લાયબ્રેરી ખાતે રવિવારે માવિસ કરાઓકે શોકેસ અંતર્ગત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ અને ગાયકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વયજૂથના પ્રતિભાગીઓએ ગુજરાતી, હિન્દી તેમજ અન્ય લોકપ્રિય ગીતોની કરાઓકે રજૂઆત કરી હતી. પ્રતિભાગીઓની સુરીલી રજૂઆતથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું.
ઉપસ્થિત પ્રેક્ષકોએ દરેક રજૂઆતને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી અને કલાકારોને ઉત્સાહિત કર્યા હતા. સંગીતપ્રેમીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.
કાર્યક્રમનું આયોજન જાહ્નવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નિજ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમને પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ સંગીત અને કલાને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
