ભરૂચ :
બાળપણમાં રમત-રમતમાં માટીને આકાર આપવાની શરૂ કરેલી નાનકડી કોશિશ આજે ભોલાવ ગામના 23 વર્ષીય યુવા કલાકાર બ્રિજ બ્રહ્મભટ્ટ માટે કળા, આસ્થા અને રોજગારનું માધ્યમ બની ગઈ છે. નાનપણથી જ ગણેશજીની પ્રતિમા બનાવવાનો શોખ ધરાવતા બ્રિજએ સમય સાથે પોતાની કળાને સતત નિખારી આજે આ ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી છે.
બાળપણમાં માત્ર શોખ પૂરતી રહેલી આ કળા આજે સુંદર અને આકર્ષક ગણેશ પ્રતિમાઓના સર્જન સુધી પહોંચી છે. માટી, રંગ અને કલ્પનાશક્તિના સંયોજનથી બ્રિજ દ્વારા તૈયાર થતી ગણેશજીની પ્રતિમાઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દરેક પ્રતિમા પાછળ કલાકોની મહેનત, સર્જનાત્મકતા અને ભગવાન ગણેશ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા જોવા મળે છે.
બ્રિજની આ કળાને નવી દિશા આપવામાં પરિવારના સહયોગની પણ મહત્વની ભૂમિકા રહી છે. ખાસ કરીને તેમના પિતા સંદીપભાઈ બ્રહ્મભટ્ટના સતત પ્રોત્સાહનથી બ્રિજને પોતાની પ્રતિભાને આગળ વધારવાની તક મળી. પરિવારના સહકારથી શોખને કારકિર્દીનું સ્વરૂપ આપીને આજે તેઓ ગણેશજીની પ્રતિમા બનાવવાની કળાને પોતાની ઓળખ બનાવી રહ્યા છે.
માટીમાંથી પ્રતિમા ઘડતી વખતે માત્ર એક મૂર્તિનું સર્જન નહીં, પરંતુ તેમાં આસ્થા, સંસ્કાર અને ભક્તિની લાગણીને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગણેશજીની પ્રતિમાને અંતિમ આકાર મળ્યા બાદ ભક્તોના ચહેરા પર જોવા મળતો આનંદ બ્રિજ માટે તેની કલાકોની મહેનતનું સાચું પરિણામ બની રહે છે.
આજે યુવાનો નવી-નવી કારકિર્દીની દિશાઓ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે બ્રિજ બ્રહ્મભટ્ટની સફર પરંપરાગત કળાને જાળવી રાખીને તેને રોજગાર અને આગવી ઓળખનું માધ્યમ બનાવવાની પ્રેરણા આપે છે. બાળપણની રમત-રમતમાં શરૂ થયેલી માટીની આ નાનકડી સફર આજે અનેક ભક્તોની આસ્થાને આકાર આપતી કળામાં પરિવર્તિત થઈ છે.
