વાગરા તાલુકાના ચાંચવેલ-પાલડી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી બદલપુરાથી ઓછણ તરફ બનાવવામાં આવેલા ડાઈવર્ઝન માર્ગ પર આજે એક ભારે ટ્રક પલટી જવાની ઘટના બની હતી. સદનસીબે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
પ્રાથમિક માહિતી મુજબ ડાઈવર્ઝન રોડ પર મોટા ખાડા અને માર્ગની બિસ્માર હાલતને કારણે ટ્રકનું સંતુલન બગડતાં તે પલટી ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ડાઈવર્ઝન રોડ પર અવારનવાર ભારે વાહનો ફસાઈ જાય છે. ગઈકાલે પણ આ જ માર્ગ પર એક ટ્રક ફસાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત બે દિવસમાં બનેલી આવી ઘટનાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ તંત્રને ડાઈવર્ઝન રોડનું તાત્કાલિક સમારકામ કરવા, ખાડા પુરવાની કામગીરી હાથ ધરવા તેમજ ભારે વાહનો માટે સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતોની શક્યતા નકારી શકાય તેમ નથી.
