ફોઇના ત્યાં જવા માટે કિશોરી ઘરેથી નિકળી હતી
ભરૂચ.
અંક્લેશ્વરની કિશોરી ફોઇના ઘરે જવા નિકળ્યા બાદ રસ્તો ભુલી વાલિયાના રૂંધા ગામે પહોંચી ગઇ હતી. બે દિવસથી ગુમ કિશોરીને શોધવામાં એક તરફ તેનો પરિવાર અને અંક્લેશ્વર પોલીસ જોતરાઇ હતી. દરમિયાનમાં વાલિયાના રૂંધા ગામના સરપંચની જાગૃતતા અને વાલિયા પોલીસના ત્વરિત એક્શનના પગલે બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયું હતું.
વાલીયા પોલીસ સ્ટેશનમાં રૂંધા ગામના સરપંચનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગામમાં એક અજાણી છોકરી આવી છે. તે પોતાનું નામ-સરનામું યોગ્ય રીતે જણાવી શકતી નથી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. તોમરના માર્ગદર્શન હેઠળની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે કિશોરીનું નામ સંજના સંજય વસાવા છે. તે અંકલેશ્વરના ગડખોલ પાટીયા બ્રીજની નીચે દાદી સાથે રહે છે. સંજના બે દિવસ પહેલા ફોઈના ઘરે જવા નીકળી હતી. પરંતુ રસ્તો ભૂલી જતાં ચાલતી-ચાલતી વાલીયા તાલુકા સુધી પહોંચી ગઈ હતી. વાલીયા પોલીસે ગડખોલ પાટીયા વિસ્તારમાં જઈને કિશોરીના વાલી મીના તેરસિંગ વસાવાનો સંપર્ક કર્યો. દાદીએ પોતાની પૌત્રીની ઓળખ કરી અને કિશોરીએ પણ દાદીને ઓળખી. ખાતરી બાદ પોલીસે કિશોરીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. સમાજમાં પોલીસની આ માનવતાપૂર્ણ અને સતર્ક કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
