એક અઠવાડિયા પહેલા,અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-૪૮ પર યુપીએલ કંપની પાસે 24 કલાક કરતા વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઊભું હોવાનું જોવા મળતાં સ્થાનિકોમાં શંકા ઊભી થઈ હતી.સ્થાનિકોની જાણ બાદ,અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જેમાં ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરના કેબીનમાંથી ડ્રાઇવર હોરીલાલ સળગુ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. ટેન્કર ચાલક મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી હતા.મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જેવા નિશાન મળતા હત્યાની આશંકા ઘેરી હતી.
પોલીસે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદથી વિસ્તારભરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રાઇવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડી દૂર મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થયાની શકયતા સામે આવી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી જેમાં આ ખુનના ગુનામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા અને અને ભંગારૂ સામ્બા ભોસલે જે અંકલેશ્વરમાં ભીખ માંગવાનું કામ કરતા હોય અનો વાલિયા ચોકડી બ્રિજ નીચે પડાવ નાખી રહેતા હોય તેમની સંડોવણી હોવાની માહિતી મળતા ભરૂચ એલ.સી.બી પોલીસે તેમના મુળ વતન મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ,ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં ઉત્તરપ્રદેશના આઝમગઢ એરપોર્ટ પાસે આરોપી ની હાજરી અંગે માહિતી મળતા આઝમગઢથી બે આરોપીઓ (૧) જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા (ઉમર ૨૧) અને (૨) ભંગારૂ સામ્બા ભોસલે (ઉમર ૧૯)ને પકડી પાડ્યા હતા.આરોપીની પુછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ પરિવારની નાણાકીય તંગીને કારણે લૂંટનો ઈરાદો બનાવ્યો હતો.ગત ૧૨ તારીખ ના રોજ તેઓ લુંટ ના ઇરાદાથી વાલિયા ચોકડી સર્વિસ રોડ પક ગયા હતા જ્યા એક ટેન્કર માં ડ્રાઇવર સુતેલો જણાતા ટેન્કર ડ્રાઇવરનો મોબાઈલ ચોરી કરવાના હતા જોકે મોબાઈલ ચોરતી વખતે ડ્રાઇવર ઉઠી જતા તેમના વચ્ચે ઝપાઝપી થતા બંન્ને આરોપીઓએ ડ્રાઇવરને માથા તેમજ પેટના ભાગે મોટા છરાથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને લૂંટી લીધેલા મોબાઇલ અને ૧૦ હજાર રોકડ રકમ લઇ ભાગી ગયા હતા.
હજુ પણ પનમા વેંકટેશ વણઝારા અને શકંર પવાર ફરાર છે જે આરોપી જમની ના માતા-પિતા છે તેમની શોધખોળ સઘન રીતે ચાલી રહી છે.પોલીસે આરોપી પાસેથી લુંટ વિથ મર્ડર ના ગુનામાં વાપરેલ છરો તેમજ લુંટ માં ગયેલ મોબાઈલ કબ્જે કર્યો હતો.આમ અંકલેશ્વર ખાતે એક અઠવાડિયા પહેલા થયેલી ટેન્કર ડ્રાઇવરની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ હવે બાકી રહેલા ફરાર આરોપીઓની શોધખોળ માટે વધુ કાર્યવાહી કરી રહી છે.
