આગામી ચોમાસાની ઋતુને લઈને પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરી શરૂ
ભરૂચ.
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જૂના ભરૂચમાં વર્ષો જુના અને જર્જરીત થયેલા મકાનોના કારણે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી સ્થિતિ રહેલી છે. દર ચોમાસામાં જર્જરીત મકાનો તૂટી પડવાના બનાવો બનતા રહે છે ત્યારે પાલિકાએ જુના ભરૂચ વિસ્તારમાં આવેલા ૭૦ થી વધુ જર્જરીત મકાનોને ઉતારી લેવા માટે નોટીસ આપવામાં આવી છે. જો કે જુના ભરૂચમાં હજી પણ ઘણીબધી જર્જરીત ઈમારતો છે જેને તબક્કાવાર રીતે નોટીસ આપવામાં આવશે. બીજી તરફ ચોમાસાની ઋતુને લઈને પ્રિમોન્સુનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ભરૂચ શહેરમાં દર વરસે જર્જરીત મકાનો ધરાશાય થઈ જવાના કિસ્સાઓ બનતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં માનવજીવ પણ ગુમાવ્યા છે ત્યારે આવા જર્જરીત મકાનો સામે ભરૂચ નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાએ જર્જરીત મકાન માલિકોને સ્વૈચ્છિક રીતે પોતાની જર્જરીત ઈમારતો ઉતારી લેવા માટે જાહેર નોટીસ બહાર પાડી છે. બીજી તરફ પાલિકાની ટીમો દ્વારા પણ શહેરી વિસ્તારમાં સર્વે કરીને અત્યાર સુધીમાં ૭૦ થી વધુ જર્જરીત મકાનોના માલિકોને વ્યક્તિગત નોટીસ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના કિસ્સાઓમાં મકાન માલિક અલગ અને તેમાં રહેતી વ્યક્તિ અલગ હોવાનું ધ્યાનમાં આવ્યુ છે. વરસો જુના ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે મિલકતને લઈને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે જેના કારણે નગરપાલિકા તેમાં સીપી રીને હસ્તક્ષેપ કરી શકતી ન હોવાના કારણે તેઓ આવા મકાન ઉતારી શકતી નથી. ત્યારે મકાન માલિક અને ભાડુઆતો સ્વૈચ્છિક રીતે આવી મિલકતોને ઉતારી લે તે માટે તેમને સમજાવવામાં આવી રહ્યા છે
આગામી જુન મહિનાથી ચોમાસાની સીઝન શરૂ થઈ જરશે. ચોમાસામાં શહેરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે વિસ્તારની અલગ અલગ કાંસોની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. રોડની આજુબાજુમાં આવેલા વૃક્ષો કે જેનાથી ભવિષ્યમાં કોઈ અનિચ્છિનીય ઘટના બની શકે છે તેવા વૃક્ષોની છાટણી કરવાની પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે જેથી કે વાહન વ્યવહાર પર અસર થવાની કે વીજ તારોને નુકશાન થવાની શકવતાઓ ઘટી શકે.
ચોમાસાને લઈને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે ભરૂચ. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પાલિકાએ જુદી જુદી કામગીરી શરૂ કરી છે. ચોમાસામાં પાણીનો નિકાલ તુરંત થાય તે માટે વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાવી દીધી છે. રોડની આસપાસના વૃક્ષોની છાટલી પણ કરવામાં આવી રહી છે. પુર જેવી સ્થિતિ સર્જાય તો લોકોને કયાં ખસેડવા, કેવી રીતે તેમને તમામ સુવિધાઓ આપવી તે અંગેનું પણ આયોજન કરી લેવામાં આવ્યુ છે.(હરીશ અગવાલ-મુખ્ય અધિકારી, નગરપાલિકા-ભરૂચ)
જર્જરીત મકાન ધરાશાય થતા કોર્પોરેટરનું મોત થયુ હતુ ભરૂચ ભરૂચ પાલિકાએ જુના ભરૂચ વિસ્તારમાં આવેલા જર્જરીત મકાનોને ઉતારી લેવા નોટીસ આપવાની કામગીરી શરૂ કરી છે ત્યારે નોંધનીય બાબત છે કે, ભરૂચ શહેરના વોર્ડ નંબર : ના નગરપાલીકાના સભ્ય વિશાલ વસાવા તેમજ તેમના પત્ની અમીતા વસાવા શહેરના જુમ્મા મસ્જીદ સામે આવેલા તેમના જુના મકાનમાં રહેતા હતા. માર્ચ મહિનામાં મધ્યરાત્રિએ તેમના મકાનનો મોબ તૂટી જતા સર્જાયેલા અકસ્માતમાં કોર્પોરેટર વિશાલ વસાલાનું મોત થયુ હતુ.
