સહારા એન્ટરપ્રાઇઝ સહિતના લોકો દ્વારા એક વર્ષ અગાઉ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદો છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી
સમગ્ર મનરેગા કૌભાંડના મુખ્ય સુત્રધાર વહીવટી તંત્ર જ હોવાની લોકોમાં ચર્ચા
ભરૂચ.
દાહોદ બાદ ભરૂચમાં મનરેગા કૌભાંડે ભારે ચકચાર મચાવી છે. પોલીસ દ્વારા હાલમાં વિવિધ અધિકારીઓ કર્મચારીઓના નિવેદનો લેવાની કવાયત ચાલી રહી છે. ભરૂચમાં આચરાયેલાં મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા સહારા એન્ટરપ્રોઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હર્ષ નંદનિયાએ મનરેગા કૌભાંડમાં આખુ વહીવટી તંત્ર જ સંડોવાયેલું હોવાની કેફિયત રજૂ કરી હતી. બીજી તરફ સમગ્ર મામલામાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં પ્રભાવી મંત્રી દ્વારા પણ તેમના કોંગ્રેસી મિત્ર માટે જિલ્લા પંચાયતના અધિકારીઓ પર દબાણ કરાયું હોવાનું પણ રાજકીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં 56 ગામોમાં મનરેગાના કામોમાં વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટર પ્રાઇઝનના પ્રો. પિયુષ રતિલાલ નુકાણી અને અને મુરલીધર એન્ટર પ્રાઇઝના પ્રો. જોધા નારણ સભાડ દ્વારા 7.30 કરોડની ખાયકી કરવામાં આવી હોવાની ફરિયાદને આધારે એક તરફ પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે મનરેગા કૌભાંડની ફરિયાદ કરનારા સહારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હર્ષ નાંદનિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં ડીડીઓથી માંડીને તમામ સંલગ્ન અધિકારીઓની કૌભાંડમાં સંડોવણી છે. જિલ્લા વિકાસ અધિકારીથી માંડી કમિશ્નર સુધી કૌભાંડને લઇને આધારપુરાવા સાથે અરજી-ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં તેમના બીલ પાસ કરવામાં આવ્યાં છે. ત્યારે વહિવટી તંત્ર જ આખા ષડયંત્રનું મુખ્ય સુત્રધાર છે તેમ જણાઇ આવે છે.
નોંધનિય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં બાદ મંત્રી બનેલાં એક પ્રભાવી મંત્રીએ તેમના કોંગ્રેસકાળ દરમિયાનની મિત્રતા માટે વેરાવળ જુનાગઢના કોંગ્રેસી નેતા સાથે સંકળાયેલાં પિયુષ નુકાણી અને જોધાભાઇ સભાડની એજન્સીને કામ મળે તે માટે ભરૂચના ડીડીઓને ભલામણ(સુચના) આપી હોવાનું સુુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસ દરમિયાનમાં આ પ્રભાવી મંત્રી પણ પોલીસઘેરામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
તત્કાલિન ડીડીઓને અરજી કરી તો કહ્યું આવા રોજની 10 અરજી આવે સહારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હર્ષ નાંદનિયાએ જણાવ્યું હતું કે, તેઓએ જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષીને તેમની આધાર પુરાવા સાથેની અરજી આપી હતી. જોકે, તેમણે તે અરજી ઉછાળીને આવા રોજના 10 લોકો અરજીઓ લઇને આવે છે તો અમારે અરજીની તપાસ કરવાની કે કામ કરાવાના તેમ જણાવી દીધું હતું. તેઓ એક જાગૃત નાગરિક અને અરજદાર તરીકે ગયાં હોવા છતાં તેમને બેસવા માટે ખુરશી પણ આપી ન હતી.
સ્થાનિક નેતાઓએ જે તે સમયે અરજીઓ કરી પણ ધ્યાને ન લેવાઇ સુત્રોમાંથી જાણવા મળ્યાં અનુસાર, જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટર પ્રાઇઝ દ્વારા આચરવામાં આવેલાં મનરેગા કૌંભાંડને લઇને જે તે સમયે કેટલાંક સ્થાનિક નેતાઓ અને જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, તે સમયે તેમની કોઇ અરજીઓ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે હવે ઘોડા છુટી ગયાં બાદ તબેલાંને તાળું જેવી સ્થિતી સર્જાઇ છે.
