હીરા જોટવા અને તેમના પુત્ર સહિત બંન્ને એજન્સીની ઓફીસમાં ચેકીંગ
। ભરૂચ ।
ભરૂચના મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા અને મુખ્ય સુત્રધાર જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય તેમજ કૌભાંડ આચરનાર મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના બંન્ને પ્રોપરાઈટર સહિત ૬ જણાના રિમાન્ડ ગુરૂવારે પુર્ણ થશે. રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા હાલમાં તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે સીટની એક ટીમ વેરાવળ તપાસમાં પહોંચી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. વેરાવળમાં હીરા જોટવા તેમના પુત્ર અને બંન્ને એજન્સીઓની ઓફીસોમાં ટીમ દ્વારા દસ્તાવેજી પુરાવા મેળવવાની કવાયત હાથ ધરાશે.
ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ૭.૩૦ કરોડની ખાયકીના કેસમાં જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમજ હાંસોટ ટીડીઓ કચેરીના ટેકનીશ્યન રાજેશ ટેલર ૬ દિવસના તેમજ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય, બંન્ને એજન્સીના પ્રોપરાઈટર પિયુષ નુકાણી અને જોધા સભાડ તથા તેમનો વહીવટદાર સરમન સોલંકીના ૫ દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે. કૌભાંડ કેવી રીતે પાર પાડયુ. તેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા સહિતની કવાયતમાં પોલીસ જોતરાઈ છે ત્યારે સીટની એક ટીમ વેરાવળ પહોંચી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. સીટની ટીમ દ્વારા હીરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજયની ઓફીસ તથા બંન્ને એજન્સીઓની ઓફીસ તેમજ તેમના મકાનો સહિતના સ્થળે ચેકીંગ કરી કૌભાંડને સંલગ્ન દસ્તાવેજી પુરાવા મેળવવાની ઉપરાંત તેઓએ જલારામ અને મુરલીધર સિવાય અન્ય કોઈ એજન્સીઓ પણ ઉભી કરી છે કેમ તેની તપાસ કરવાની પણ કવાયત હાથ ધરાઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, જોધા સભાડના પિતા તેમના ગામના સરપંચ હોય તેઓ હીરા જોટવાના નજીકના મિત્ર હતા. જયારે પિયુષ નુકાણી હીરા જોટવાના એક શૈક્ષણિક સંકુલમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતો હતો. હીરા જોટવાએ મનરેગા કૌભાંડને અંજામ આપવા માટે એજન્સીઓ ઉભી કરવાની થતી હોય તેણે આ બંન્ને નામે મુરલીધર અને જલારામ નામની એજન્સી શરૂ કરી હતી. બીજી તરફ રાજેશ ટેલરના ઘર સહિત તેના લેપટોપમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યુ છે. ઉપરાંત તેના ખાતામાં ૪૦ લાખ પડયા હતા તે કોણે કોણે આપ્યા કે આપવાના હતા તેની વિગતો મેળવવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે.
CBI, ED તથા GST વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે ભરૂચ જિલ્લામાં સામે આવેલા મનરેગા કૌભાંડમાં મોટા માથાઓની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે કૌભાંડમાં સંકળાયેલા કોન્ટ્રાકટના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તો આ કૌભાંડમાં સામેલ સરકારી અધિકારીઓ જેમ કે ડીડીઓ, ટીડીઓ, મનરેગા ઓફીસના અધિકારીઓ તેમજ નામાંકિત સ્થાનિક નેતાઓ સામે અમે સીબીઆઈ, ઈડી તથા જીએસટી વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ. (નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી-આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ)
ભરૂચ-નર્મદામાં ૫૦૦ કરોડથી વધુનું કૌભાંડ થયાના ચૈતર વસાવાના આક્ષેપ મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસી આગેવાન હીરા જોટવા સહિત ૬ ની ધરપકડ કરી છે ત્યારે દેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી સતત આક્ષેપબાજી કરવામાં આવી રહી છે કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓના મેળાપીપણાથી ભરૂચ નર્મદા જિલ્લામાં ૫૦૦ થી ૭૦૦ કરોડનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યુ છે ત્યારે ભરૂચમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ નર્મદા જિલ્લામાં પણ હવે મનરેગાના કામોની તપાસ થાય તેવી શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.
