ભરૂચ.
વાગરા તાલુકાના સારણ ગામે ગતરાત્રીના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વાગરા પોલીસને જાણ થતા પોલીસે તપાસ આરંભી હતી.

વાગરા તાલુકાના સારણ ગામે દરગાહવાળા રોડ પર આવેલ મકાનના માલિક ઝુલ્ફીકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રીના ૧૧.૩૦ વાગ્યે બહાર જમવા ગયા હતા ત્યાંથી પરત આવી ૧૨.૩૦ થી ૧ વાગ્યા સુધીમાં મોબાઈલનો ઉપયોગ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે સુઈ ગયા હતા. ત્યારબાદ ૪.૩૦ કલાકે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે ઉઠયા હતા. ત્યારે ઘરમાં રહેલો તિજોરીનો સામાન વેર વિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ તેઓએ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જયાં ત્યાં પડેલો નજરે પડયો હતો. તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજીત ૩૦-૩૫ તોલા સોનાના દાગીના તેમજ ૧૦ લાખ રોકડા ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયુ હતુ. તેઓએ વાગરા પોલીસને જાણ કરતા પ કલાકે વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અંદાજીત ૪૫ લાખની મતાની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગામના અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સુત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ અંગે કોઈ માહિતી સાંપડી નથી.
