ભરૂચ.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો આજે નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો અને લેન લુઝરોનો આક્ષેપ છે કે 1993થી તબક્કાવાર જી.આઈ.ડી.સી. દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે.જમીનનો મોટો ભાગ એ.બી.જી. શિપયાર્ડ કંપનીને ફાળવાયો હતો, જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી. જોકે, કંપની બંધ થયા બાદ છેલ્લા 37 મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી છે અને ન બાકી પગાર ચુકવાયો છે. ત્યારબાદ વેલસ્પન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઇ સમાધાન ન મળ્યું. હવે નવી કંપની નૌયાન શિપયાર્ડ પ્રાઈવેટ લિમિટેડ, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 84 ટકા હિસ્સો છે, તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી રહી છે કે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.આથી આજે ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી કે જો પાંચ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વરના ખેડૂતો આખા વાગરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે.
