ભરૂચ.
ઝાડેશ્વર નેશનલ હાઈવે નં.૮ થી લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ ઉપર એકથી દોઢ ફૂટના ખાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગના ખાડાઓમાં મેટલ-પત્થર નાખી છોડી દેવાતા અનેક રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પડેલા ખાડાઓમાં મેટલ નાખ્યા બાદ રોલર પણ ન ફેરવાતા તેમજ પેચવર્કની કામગીરી પણ કરવામાં ન આવતા ખાડામાં પુરવામાં આવેલા પથ્થરો રોડ પર પ્રસરી ગયાં છે.
આવનાર તા.૨૪ તારીખથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઝાડેશ્વર ખાતે આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરી કાવડ યાત્રાળુઓ તેઓની કાવડ યાત્રાનો પ્રારંભ કરતા હોય છે ત્યારે કેટલાક કાવડ યાત્રાળુઓ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી અનેક સ્થળો પર તેઓની કાવડયાત્રા લઈ પગપાળા કાવડયાત્રા લઈ અનેક સ્થળો પર પહોંચતા હોય છે ત્યારે આવા સમયે તેઓ પગમાં ચંપલ કે બુટ વિના પણ કાવડ યાત્રામાં જોડાતા હોય છે ત્યારે રોડ પર નાંખવામાં આવેલા મેટલ અનેક કાવડયાત્રીઓને અડચણરૂપ બનશે.
ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે ઝાડેશ્વર નેશનલ હાઈવે થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માત્ર એક કિલોમીટર સુધીના માર્ગ પર ચાલુ વરસે વરસેલા વરસાદમાં મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જે ખાડાઓને લઈ નીલકંઠેશ્વર મંદિરે આવતા યાત્રાળુઓને ખૂબ જ હાલાકી પડી રહી હતી જેને લઈ બે દિવસ પહેલા મિડીયા દ્વારા અહેવાલ પસિધ્ધ કરાતા જિલ્લા તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ખાડા ઉપર રોલર ન ફેરવાતા તેમજ પેચવર્ક ન કરાતા ખાડામાં પુરેલા પથ્થરોને લઈને રાહદારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે. તદઉપરાંત માર્ગ પરથી પસાર થતા વાહનોના ટાયર નીચે પથ્થરો આવી જતા ટાયર નીચેથી પથ્થર છટકતા અનેક વાહન ચાલકોને પણ નુકશાન થઈ રહ્યુ છે.
આ સાથે જ આ વિસ્તારમાં બહ્માકુમારીઝ અનુભુતિ ધામ, સંસ્કાર ભારતી વિદ્યાલય સ્કુલ, સ્વામીનારાયણ વિદ્યાલય, મનન આશ્રમ, નીલકંઠ નર્સરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જેવી સંસ્થાઓ આ માર્ગ પર આવતા અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે આ સાથે જ આવનાર ૨૪ તારીખે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઝાડેશ્વર ખાતેના પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટશે સાથે જ ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશભરમાંથી શ્રધ્ધાળુઓ ટ્રાવેલ્સ મારફતે અહીં દર્શન અર્થે આવતા હોય છે ત્યારે યાત્રાળુઓની સેફટી અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
