ભરૂચ.
ભરૂચના હાંસોટ, આમોદ તેમજ જંબુસર તાલુકામાં આચરવામાં આવેલાં 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલાં જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા અને તેમના પુત્ર સહિત 10 જણાની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાનમાં હિરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયએ બીજી વાર કોર્ટમાં જામીન અરજી મુકી હતી. કોર્ટમાં બન્ને પક્ષની સુનાવણી થતાં અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી હતો.
ભરુચમાં મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને જામીન માટે ભરૂચની સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જો કે ભરૂચ સેશન્સ કોર્ટે બંને આરોપીઓના જામીન ફગાવી દીધા છે. કોર્ટે મુખ્ય આરોપી હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે. સરકાર તરફના મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યાએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી છે. હીરા જોટવાના વકીલે કહ્યું કે આરોપી હાર્ટ પેશન્ટ છે અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી.
નોંધનિય છે કે, હિરા જોટવા અને તેમના પુત્ર અગાઉ પણ જામીન અરજી મુકી હતી જે નામંજૂર થઇ હતી. ઉપરાંત જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતાં. તે વેળાં પણ તેમણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસ પુછપરછથી બચવા તેમજ જેલમાં ન રહેવું પડે તે માટે તેમણે છાતીમાં દુ:ખાવાની ખોટી વાત ઉપજાવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
