ભરૂચ.
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.લોકાર્પણ સમારોહમાં પાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા ઉમેરાશે.આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ ₹35 લાખનો ખર્ચ થયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટીંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકશે.આ અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગામ અને શહેરના વિસ્તારોમાં આધુનિક ઈમારતો, સમુદાય ભવનો તથા હોલનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
