સામાન્યત: રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતુટ પ્રેમનો તહેવાર ગણાય છે
। ભરૂચ ।
પારિવારીક સંબધોના પર્વોમાં સૌથી વધારે મહત્વ ધરાવતા અને આપણા દેશની પરંપરામાં જેનું આગવું સ્થાન છે તેવા રક્ષાબંધન પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. સામાન્યત: રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતુટ પ્રેમનો તહેવાર ગણાય છે. આ દિવસે બહેન તેના વ્હાલા વીરાના કાંડા પર રક્ષા (રાખડી) બાંધે છે. જોકે, પૌરાણિક કથાઓ અનુસાર રાખડી માત્ર બહેન જ ભાઈને બાંધે તેવું નથી. નણંદ ભાભીને અને દાદી પૌત્રને તેમજ પત્ની પતિને રક્ષાસેતુ બાંધતી હોય છે.
પૌરાણિક ગાથાઓ મુજબ, મહાભારતના યુદ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સૈન્યની રક્ષા માટે યુધિષ્ઠિરને રક્ષાબંધનનો તહેવાર મનાવવાની સલાહ આપી હતી. અને જણાવ્યું હતું કે, રાખડીના રેશમી દોરામાં એટલી શક્તિ છે કે તે અનેક મુશકેલીઓમાંથી તમને ઉગારી શકે છે. યુદ્ધમાં અભિમન્યુ જયારે સાત કોઠાનું યુદ્ધ લડવા માટે જવાના હતા ત્યારે તેની દાદી કુંતાએ તેમની રક્ષા માટે રાખડી બાંધી હતી. અન્ય એક કથા મુજબ દેવ અને દાનવો વચ્ચે એકવાર ભિષણ યુદ્ધ થયું હતું. ત્યારે દેવોની હાર થાય તેવી સ્થિતી વચ્ચે દેવોના રાજા ઈન્દ્ર ગભરાઈને બૃહસ્પતી પાસે કોઈ રસ્તો મળે તેવી આશાએ ગયાં હતાં. તે વેળાં તેમની પત્ની ઈન્દ્રાણી ત્યાં બેઠી હતી. તેમણે મંત્રોની શક્તિથી રેશમના દોરાને પવિત્ર કરી તેમના પતિ ઈન્દ્રના હાથ પર બાંધી તેમની રક્ષાની કામના કરી હતી. જે બાદ ઈન્દ્રનો તે યુદ્ધમાં વિજય થયો હતો.
બીજી તરફ હાલમાં મારવાડની લૂમ્બા રાખડીનો ક્રેઝ વધી રહ્યો છે. મારવાડમાં લૂમ્બા રાખડી ખુબ જ પ્રચલિત છે. લગ્ન બાદ ભાઈના સુખ અને દુ:ખમાં તેની સાથી તેની પત્ની હોય છે. જેથી તેમને પણ રાખડી બાંધવામાં આવે છે. જેને લૂમ્બા રાખડી કહેવાય છે. નણંદ તેની ભાભીને રાખડી બાંધી તેમની રક્ષા અને તેમને અખંડ સૌભાગ્યવતી રાખે તેમજ તેમનું કલ્યાણ કરે તેવી પાર્થના નણંદ ભાભી માટે કરે છે. નોંધનિય છે કે, ઈતિહાસમાં હિન્દુ રાણીઓ મુસ્લિમ સુલતાનને રાખડી મોકલતી હોવાની પણ ઘટના છે, જેમાં મેવાડના રાણા સંગાની પત્ની કર્માવતી કે જેઓ કર્ણાવતી તરીકે પણ ઓળખાતા હતાં. તેઓએ પોતાના પર ગુજરાતના સુલતાન બહાદુરશાહના આક્રમણ વખતે મુગલ રાજા હુમાયુને રાખડી મોકલી મદદ માંગી હતી અને હુમાયુએ તે રાખડીનું માન રાખી બહેનની મદદ કરી હતી.
