ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરના રેવા સેવા સમન્વય સમિતિ સંઘ કાર્યાલય (શંભુ ડેરી નજીક) ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત મંગલ શ્લોકો તથા વેદમંત્રોથી કરવામાં આવી હતી. ત્યારબાદ પંડિતશ્રી દ્વારા સત્યનારાયણ કથા વર્ણવામાં આવતા ઉપસ્થિત ભક્તજનો ભક્તિભાવમાં તરબતર થઈ ગયા હતા. આ પ્રસંગે ભક્તજનોમાં ધાર્મિક શ્રદ્ધા સાથે આનંદનો માહોલ સર્જાયો હતો.આ પાવન પ્રસંગે મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ ક્ષત્રિય સામાજિક સમરસતા પ્રમુખ ગુજરાત ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ, કૌશિક જોશી, બિપિન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તદુપરાંત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપાના મહામંત્રી નિરલ પટેલ સહિતના અગ્રણીઓની પણ આગવી હાજરી રહી હતી. સૌએ એકતાભાવ સાથે કથાનો લાભ લીધો હતો.આ પ્રસંગે વક્તાઓએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની મહત્તા વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. આ વર્ષે 61મું સ્થાપના વર્ષ શરૂ થતાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સંસ્થા દ્વારા કરાયેલા કાર્યોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે.સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ સાથે દેશભક્તિના ગીતો તથા સંકલ્પગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.સત્યનારાયણ કથા સાથે શરૂ થયેલ આ ઉજવણીના કાર્યક્રમો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને ભરૂચ શહેર તથા જિલ્લામાં અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાવાની છે.
બાઇટ… રમેશ રાવલ ક્ષત્રિય સામાજિક સમરસતા પ્રમુખ ગુજરાત..
