ભરૂચ.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને નવીનતમ માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી, ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આજે ભરૂચમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રાકૃતિક ખેતી સંબંધિત ત્રણ વિશિષ્ટ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.
આ વિમોચિત પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાસાઓ જેવા કે ‘પ્રાકૃતિક ઇનપુટ સંસાધન કેન્દ્રો’, ‘પ્રાકૃતિક ખેતી પ્રમાણ પ્રણાલી (NFCS)’ અને ‘પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે ખેડૂતલક્ષી માર્કેટિંગ કૌશલ્ય’ ને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સાધન-સામગ્રી, ઉત્પાદનોના પ્રમાણીકરણ અને તેના વેચાણની પ્રક્રિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે.
પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત આ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. પુસ્તકોનું વિમોચન જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્યો સર્વે રમેશભાઈ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા, ડી. કે. સ્વામી તેમજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તમામ સંબંધિત વિભાગો સાથે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. NMNF યોજના હેઠળ ભરૂચ જિલ્લાના 38 ક્લસ્ટરની પસંદગી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગી થશે અને પ્રાકૃતિક ખેતીના વિકાસમાં નવી દિશા ખોલશે.
આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
