રાજપીપળા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન માટે કરજણ નદી ખાતે ગયા મોતીબાગ ફળિયાના 25 વર્ષના યુવાન અર્જુનભાઈ મોતીભાઈ વસાવા વિસર્જન દરમિયાન નદીમાં પડી ગયા અને તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યે અર્જુનભાઈ વસાવા અન્ય લોકોએ સાથે વિસર્જન માટે કરજણ નદીના ઓવારા પાસે ગયા હતા. વિસર્જન દરમિયાન અર્જુનભાઈ નદીના પાણીમાં પડી ગયા અને દુર્ઘટનાવશ તણાઈ ગયા.
ઘટનાસ્થળે નગરપાલિકા અથવા સરકાર તરફથી કોઈ પણ પ્રકારની લાઇટિંગ અથવા સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. દર વર્ષે સામાન્ય રીતે નગરપાલિકા તરફથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે, પણ આ વર્ષે તે ગેરહાજર રહી.
ઘટનાને લઈને યુવાનના પરિવારજનોનો આક્ષેપ છે કે,રાત્રિના સમયે કોઈ પણ સરકારી અધિકારી ઘટનાસ્થળે પહોંચી ન આવ્યા, અને ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી નથી.એનડીઆરએફ ટીમ અને નગરપાલિકા દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમ છતાં,સોમવારના બપોરના 3 વાગ્યા સુધી પણ યુવાનનો કોઈ પતો લાગી શક્યો નથી.આ ઘટના શહેરમાં ભારે શોકની લાગણી ફેલાવી રહી છે અને પ્રશાસન સામે લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
