ભરૂચ
દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો પર આખરે પક્ષે લાલ આંખ કરી છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો રાજકીય ફટકો સહન કરવો પડ્યો છે, કારણ કે તેમની પેનલના 6 ઉમેદવારોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સસ્પેન્ડ કરી દીધા છે.
સસ્પેન્ડ થનારામાં અરૂણસિંહ રણાની પેનલના ચેરમેન પદના મુખ્ય ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ છે. તે ઉપરાંત હાંસોટ તાલુકાના ધમણાદ ગામના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ તેમજ હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી હટાવી દેવામાં આવ્યા છે.આ તમામ 6 નેતાઓને ભાજપના સક્રિય તથા પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરાયા છે.
પક્ષ શિસ્તના મુદ્દે ભાજપે કડક વલણ અપનાવ્યું છે. નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં બળવાખોર ઉમેદવારો સુધી સસ્પેન્શનના ઓર્ડર પહોંચે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ગરમ છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઘોષિત મેન્ડેટ મુજબ કુલ 15 બેઠકોમાંથી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલની પેનલને અને 3 બેઠક માટે અરૂણસિંહ રણાની પેનલને આધાર અપાયો હતો. તેમ છતાં રણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે, જેને કારણે વિવાદ ઊભો થયો છે.
દૂધધારા ડેરીની ચૂંટણી હવે ભાજપના બે મોટા નેતાઓ – નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સીધી ટક્કર બની ગઈ છે. પક્ષના આંતરિક મતભેદો ચૂંટણીના પરિણામ પર કેટલો પ્રભાવ પાડશે તે 19 સપ્ટેમ્બરે સ્પષ્ટ થશે.
