કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય મુદ્દે GUJCON 2026માં ઉદ્યોગજગત અને તબીબો એક મંચ પર
ભરૂચ :
ગુજરાતના ઔદ્યોગિક નકશામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ભરૂચ જિલ્લામાં રાજ્યસ્તરીય પરિષદ “GUJCON 2026”નો ભવ્ય પ્રારંભ થયો હતો. ઇન્ડિયન એસોસિયેશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (IAOH)ની અંકલેશ્વર-ભરૂચ શાખા દ્વારા આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન ભરૂચ સ્થિત રીજેન્ટા હોટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ, તબીબો અને આરોગ્ય ક્ષેત્રના હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
પરિષદમાં કાર્યસ્થળ પર કામદારોના આરોગ્ય, સલામતી, માનસિક સુખાકારી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉભા થતા નવા આરોગ્ય પડકારો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વધતા ઔદ્યોગિકીકરણ વચ્ચે કામદારોના આરોગ્યનું રક્ષણ અને સલામત કાર્યસ્થળનું નિર્માણ આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. ભાવેશ મોદી (ડિરેક્ટર, ICMR-NIOH), ડૉ. આર. રાજેશ (ગ્રુપ મેડિકલ હેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), ડૉ. હિતેશ સિંઘલ (રાષ્ટ્રીય પ્રમુખ, IAOH), ડૉ. કિશોર પરીખ (રાષ્ટ્રીય સચિવ, IAOH), ડૉ. સુનિલ ભટ્ટ (ક્લસ્ટર હેડ-એચઆર, GFL), ડૉ. સુષ્મા પટેલ (હેડ મેડિકલ સર્વિસીસ, GNFC), ડૉ. યુવરાજ પ્રિયદર્શી (CEO, વોર્ડવિઝાર્ડ હોસ્પિટલ), ડૉ. કેતન પટેલ (વાઇસ પ્રેસિડેન્ટ, IAOH અંકલેશ્વર-ભરૂચ શાખા) તથા ડૉ. મેહુલ રહેવર (આયોજન સચિવ, GUJCON 2026) સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
પરિષદ દરમિયાન યોજાયેલા વૈજ્ઞાનિક સત્રો, નિષ્ણાત પ્રવચનો અને ચર્ચા ગોષ્ઠિઓમાં ઔદ્યોગિક આરોગ્ય વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓ, કાર્યસ્થળ અકસ્માત નિવારણ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આરોગ્ય સુરક્ષા, માનસિક તણાવ અને કર્મચારીઓની સુખાકારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતો નથી, પરંતુ કર્મચારીઓનું આરોગ્ય અને સલામતી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. “સ્વસ્થ કર્મચારી જ ઉત્પાદક ઉદ્યોગનો આધાર છે” તેવા સંદેશ સાથે પરિષદમાં આરોગ્યપ્રદ અને સુરક્ષિત કાર્યસ્થળોના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
GUJCON 2026 ઔદ્યોગિક આરોગ્ય ક્ષેત્રમાં જ્ઞાનના આદાન-પ્રદાન અને નવીન અભિગમોને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. 7 જૂન સુધી ચાલનારી આ પરિષદમાં ગુજરાતભરમાંથી આવેલા તબીબો અને આરોગ્ય ક્ષેત્રના હિતધારકો સક્રિય સહભાગી બની રહ્યા છે.
દહેજમાં 100 બેડની અદ્યતન હોસ્પિટલ બનાવવાનો પ્રયાસ : સુનિલ ભટ્ટ કાર્યક્રમ દરમિયાન દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તથા GFLના ક્લસ્ટર હેડ સુનિલ ભટ્ટે દહેજ જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારમાં હજુ સુધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દહેજ વિસ્તારમાં ઓછામાં ઓછી 100 બેડની અદ્યતન હોસ્પિટલ ઊભી કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં આ સપનું સાકાર થાય તેવી આશા છે. તેમણે તબીબો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને આ પહેલમાં સહયોગ આપવા અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલની આવી કોન્ફરન્સ યોજાય તો ઉદ્યોગ જગત તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
