ભરૂચ
પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના ૧૩ લાભાર્થીઓને રૂ.૨૮.૩૦ લાખથી વધુ રકમની સહાયના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ૧૫ થી વધુ જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને પરિણામે ગુજરાત સમગ્ર વિશ્વ ફલક પર અંકિત થયુ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતહિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે.
તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂત આકસ્મિક મૃત્યુ સહાય યોજના, ડ્રોન દીદીની ઉપલબ્ધી અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ વગેરે અનેક યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા ખેડૂતો માટે કાર્યરત છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવા માટે સૌ ધરતીપુત્રોને અનુરોધ છે.
વધુમાં તેમણે કહ્યું કે, ખેડૂતોને તમામ પ્રકારના લાભો મળે અને તેમની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. આપણા ગુજરાતના શ્રી અન્નને હવે વૈશ્વિક પ્રસિધ્ધી મળી છે. ડાંગ જિલ્લામાં ઉત્પાદિત થતી રાગી અને તેમાંથી ઉત્પાદિત ખાદ્ય ચિજવસ્તુઓ હવે દેશના સિમાડા ઓળંગીને ત્યાંની હોટલ અને મોલમાં પણ ઉપલબ્ધ બની છે. જેના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોની આવક બમણી થઈ છે. સાથે જ ખેડૂતોને મળતી વિવિધ સહાય સીધી તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે. મંત્રીએ વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના દીવાળીના તહેવારમાં સ્થાનિક ચિજવસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, આધુનિક ખેતીની પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ, અને ટકાઉ ખેતીના મહત્વ વિશે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, પાક વૈવિધ્યકરણ, અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી. નિષ્ણાતોએ ખેડૂતોને બજાર સાથે જોડાણ, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા, અને ખેતીમાં નવીનતા અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પાક વીમા યોજના, ખેતી સહાય યોજના, અને ખેતી લોન વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
