બે મિત્રો નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતાં, એક પરત નિકળ્યો
લાશ્કરોની ટીમ નર્મદા નદીમાં ગુમ યુવાનને શોધવામાં જોતરાઈ
। ભરૂચ ।
ભરૂચના શુક્લતીર્થ ખાતે નેત્રંગનો આદર્શ વસાવા તેમજ તેના મિત્રો ફરવા માટે આવ્યાં હતાં. કબીરવડની આસપાસના કુદરતી વાતાવરણને મહાલતાં મહાલતા વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં આદર્શ તેમજ અન્ય એક મિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા માટે કુદ્યા હતાં. જયારે અન્ય બે મિત્રો કિનારા પર જ હતાં. દરમિયાનમાં થોડા સમય બાદ આદર્શ નદીના ઊંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. અન્ય મિત્રોએ તેને બચાવવા માટે બુમરાણ મચાવી હતી. જોકે, તેઓ કાંઈ કરે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવતાં ટોળું જામ્યુ હતું સ્થાનિક નાવિકોએ તેને શોધવાની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો તેમજ નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. લાશ્કરોએ નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વાઘા-જાળ, બિલાડી સહિતના ઉપકરણો પાણીમા નાંખી લાપતા યુવાનનો દેહ શોધવામાં જોતરાયાં હતાં. નબીપુર પોલીસ સ્ટેશનના અધિકારી રાજન દેસાઈએ જણાવ્યું હતું કે, નદીમાં ન્હાવા પડેલાં બે પૈકીનો એક યુવાન ગુમ છે. જોકે, તેમને તેમના નામ માલુમ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ બચી ગયેલાં ત્રણેય યુવાનો અંગે પુછતાં તેઓ અંગે પણ તેમને કોઈ સ્પષ્ટ માહિતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
શુક્લતીર્થમાં બનેલી ઘટનાની યાદ તાજી થઈ શુક્લતીર્થ મેળામાં બે વર્ષ દેવદિવાળી પર્વના ટાણે જ ત્રણ જણા રેતીમાફિયાઓએ કરેલાં ઊંડા ખાડામાં ડુંબી જવાની ઘટના બની હતી. ત્યારે કબીરવડ વિસ્તારમાં પણ આ જ તહેવારના દિવસમાં યુવાન ડુબી જવાની ઘટના બની હતી. જેના પગલે લોકોમાં બે વર્ષ પૂર્વે બનેલી ઘટનાની યાદ તાજી થઈ હતી.
