ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસા ગામે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસા ગામે નવીનગરી ફળિયામાં રહેતી પાર્વતી ભગવાન પરમારના બે પુત્રો છે. તેમના બન્ને પુત્રોનું આડોશપાડોશમાં વચ્ચ એક જ દિવાલવાળા મકાનો છે. તેઓ હાલમાં તેમના મોટા પુત્રના ઘરે રહે છે. ગત 2 નવેમ્બરના રોજ બાજુના ઘરમાં રહેતો તેમનો નાનો પુત્ર હનુમાન ભગવાન પરમાર તેની પત્ની બે બાળકો સાથે દ્વારકા દર્શન કરવા માટે નિકળ્યાં હતાં. તેમણે તેમની માતા-ભાઇના પરિવારના ખબરઅંતર પુછી પોતાના ઘરને તાળું મારી દેવદર્શને દ્વારા જવા માટે નિકળી ગયાં હતાં. તેમની માતા પાર્વતીબેન દિવસ દરમિયાન તેમના ઘર પર નજર રાખતાં હતાં. ગત 4 નવેમ્બરે તેઓ દશેક વાગ્યે જમી પરવારીને ઘરના આગળના ઓટલે બેઠાં હતાં.ત્યારે તેમના નાના પુત્રના ઘરના દરવાજાનું તાળું લગાવેલું જણાયું હતું. જે બાદ બીજા દિવસે તેમણે જાગીને ઘરની બહાર નિકળી તેમનું કામ કરી રહ્યાં હતાં. તે વેળાં તેમણે જોયું તો તેમના પુત્રના દરવાજાનું તાળું દેખાયું ન હતું. જેથી તેમનો પુત્ર દર્શન કરી પરત આવ્યો હોવાનું લાગતાં તેમણે દરવાજો ખોલી અંદર જતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. જેથી તેમણે તેમના પુત્ર હનુમાનને ફોન કરતાં તેણે જણાવ્યાનુસારના દાગીના-રૂપિયાની તપાસ કરતાં તે નહીં મળતા તસ્કરોએ તેમના પુત્રના ઘરમાંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા 5 હજાર મળી કુલ 1.88 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે પ્રાથમિક તબક્કે તેમના પુત્રના ઘરમાંથી 1.88 લાખની ચોરી થયાંથી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
