ન્યાયથી વંચિત રહેતા નાગરિકો માટે મફત કાનૂની સહાય આપવી રાજ્યની અનિવાર્ય ફરજ : એડ.અશ્વિન મિસ્ત્રી
ભરૂચ.
ન્યાયથી વંચિત રહેતા અને આર્થિક રીતે પછાત નાગરિકોને એડવોકેટની મદદ આપી કાનૂની સહાય પૂરી પાડવી તે રાજ્ય સરકારની એક અનિવાર્ય ફરજ છે, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય અને મુખ્ય વક્તા અશ્વિન મિસ્ત્રીએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી કાનૂની જાગૃતિ શિબિરમાં જણાવ્યું હતું.
9 નવેમ્બર, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NLSA)ના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસર ઇન્દ્રસિંહ માધવસિંહ રાજની અધ્યક્ષતામાં કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એડવોકેટ અશ્વિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે નાગરિકો ન્યાયતંત્રને પ્રતિકૂળ માનીને કોર્ટ-કચેરીના ચક્કરથી દૂર રહેવાની પ્રાર્થના કરતા હોય છે. આવી ધારણાના કારણે ઘણા નાગરિકો ન્યાય મેળવવાથી વંચિત રહી જતા હોય છે. તેમણે આ અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, વંચિત સમાજ અને અસહાય નાગરિકોને કાનૂની સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર બંધાયેલી છે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા પી.એલ.વી. મુનાફ ભટ્ટીએ યુવાધનને, સમાજને કોરી ખાતા નશાના દુષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. તેમણે મફત કાનૂની સેવા વિશે માહિતી આપતાં જણાવ્યું કે, મફત કાનૂની સલાહ મેળવવા માટે સરકારે ટોલ ફ્રી નંબર 15100 જારી કરેલ છે, જેના પર જરૂર પડ્યે કોલ કરીને કાનૂની સલાહ અંગેની માહિતી મેળવી શકાય છે.
