મકતમપુર જ્ઞાનસાધન આશ્રમ ખાતે તા. 18 થી 24 ડિસેમ્બરે યોજાશે કથા
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મકતમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં, અંધજન કાર્યાલય જ્ઞાનસાધન આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાક કથા યોજાશે.
NAB ગુજરાત શાખાના મંત્રી તારક લુહાર, ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા, ફંડ રેઝિંગ કમિટી ચેરમેન કૌશિક પંડ્યા, નરેશ ઠક્કર, સંજીવ શ્રોફ, ભરત પારેખ, કનુભાઈ પરમાર, ગોપાલ શાહ સહિતના ઉપસ્થિત રહી માહિતી અપાઈ હતી.
દેશ વિદેશમાં 400 થી પણ વધુ કથાઓ કરનાર, શ્રીમદ્ ભાગવત પર પી.એચ.ડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થા એ છેલ્લા 3 દાયકા દરમ્યાન રમત ગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુર્નવસન લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાનાં પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઇપણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા આગળ વધી રહી છે. આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરાયું છે.
