સમાજના ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ પરંપરાગત વાદ્યોના સંગીત સાથે જોડાયાં
ભરૂચ.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાના 47મા વાર્ષિક પૂજા મહોત્સવના અવસરે શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના ભક્તોએ પરંપરાગત વાદ્યોના સંગીત સાથે ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
દર વર્ષે ડિસેમ્બર માસમાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલીયન સમાજના ભક્તો ઉપસ્થિત રહે છે. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી શરૂ થઈ ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રામાં પરંપરાગત વાદ્યોનો નાદ, હાથી, તૈયમ, તાલાપોલી (પૂજાની થાળી) તેમજ આકર્ષક લાઇટિંગ જેવી ભવ્ય વ્યવસ્થાએ શહેરનું વાતાવરણ ઉત્સવમય બનાવી દીધું હતું.
શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તોએ પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયૈપ્પાના વિવિધ રૂપો ધારણ કરીને ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. શોભાયાત્રા મંદિર પર પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલાં સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ તથા અભિષેકની વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી.
