કચેરીની બહાર જ અડિંગો જમાવી દેતાં પોલીસે હટાવવા જતાં ટીંગાટોળી
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત ભાજપના લોકો દ્વારા ચોક્કસ સમાજના અને કોંગ્રેસના આગેવાનોના નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે ખોટી માહિતી સાથે ફોર્મ નંબર ૭ ભર્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગુરુવારે કલેક્ટર કચેરી ગાજવી હતી. કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવી સુત્રોચ્ચાર કરતાં પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતાં ઘર્ષણ સર્જાયું હતું.
એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારોના વાંધા-દાવા માટે ફોર્મ ૭ ભરવાની પ્રક્રિયા શરુ થઈ હતી. પહેલાં અંતિમ તારીખ ૧૮મી જાન્યુઆરી નક્કી થઈ હતી. ત્યાં અંતિમ દિવસોમાં એક સામટા અને એક પેટર્નથી ફોર્મ ભરીને ચોક્કસ સમાજના મતદારોના નામ કમી કરવા માટેનો કારસો રચાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ભરૂચ જિલ્લામાં ૯૦ હજાર જેટલાં મતદારોના નામો કમી કરવા માટેના ફોર્મ ભરાયાં છે. ત્યારે કોંગ્રેસે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધામા નાંખ્યાં હતાં. કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યા બાદ મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ભાજપના લોકો દ્વારા ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ભારે હંગામો કર્યો હતો. અરસામાં પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતં કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. એક તબક્કે તણાવભર્યો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, નાઝુ ફડવાલા, ભરૂચ પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયાં હતાં.
રાજેન્દ્રસિંહ રણાએ આવેદનમાં જણાવ્યું હતું કે, નામો કમી કરવા માટે અરજી કરનાર સહિત સરકારી અધિકારી સામે વહિવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કાનુની લડત લડશે. કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી, અમે જે તે સરકારી અધિકારીને ઘર ભેગા કરવા કડકમાં કડક કાર્યવાહી કરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું
