ભરૂચ
ભરૂચ જિલ્લામાં તા. ૨૭ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬”ની ઉજવણી શરૂ થઈ છે.
આ સપ્તાહ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ સહિત વિવિધ આપત્તિઓ સમયે કરવાના અને ન કરવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ, માર્ગદર્શક વ્યાખ્યાનો અને જીવંત પ્રદર્શન દ્વારા બાળકોમાં આપત્તિ સમયે સુરક્ષિત વર્તન અંગે જાગૃતિ વિકસાવવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની અંદાજે ૧૪૫0 જેટલી શાળાઓમાં ૯૫૬૮૭ જેટલા બાળકો, 3૫૨૪ જેટલા એસ.એમ.સી.ના સભ્યોનીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અન્વયે ફાયર વિભાગ, ૧૦૮ ઈમર્જન્સી સેવા, આર.ટી.ઓ.વિભાગ, અન્ય સંસ્થાઓના સહકારથી તાલીમ અને ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ આપત્તિ સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપી શકે.
રાજ્ય કક્ષાએ માન. મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમનો ઑનલાઇન પ્રારંભ કરાયા બાદ જિલ્લા કક્ષાનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચ તાલુકાની નવા તવરા અને જુના તવરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો.
આ પ્રસંગે ગામના સરપંચ, જી.એસ.ડી.એમ.એ.ના પ્રતિનિધિ, બીઆરસી તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા સલામતી સપ્તાહનું જિલ્લા સ્તરે સંકલન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી મોહંમદવારીસ એન. ઘડીયાળી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
