ભરૂચ
આવનારા પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખી શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને નિવારવા માટે જિલ્લા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં રમજાન દરમિયાન ઈફ્તાર અને તરાવીહના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનો ભારે ભાર સર્જાતો હોવાનું જણાવાયું છે.
ખાસ કરીને ભરૂચ શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તાર, મોહંમદપુરા થી બાયપાસ માર્ગ, સિફા સર્કલ નજીક તેમજ ફાટાતળાવ – કતોપોર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય નાગરિકો, રોજિંદા કામદારો તેમજ વેપારીઓને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે ટ્રાફિકની અવ્યવસ્થા કારણે ઈમરજન્સી સેવા વાહનોની અવરજવર પણ અવરોધિત થવાની શક્યતા રહે છે, જે ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે.
જિલ્લા પોલીસ તંત્રને વિનંતી કરવામાં આવી છે કે રમજાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં ખાસ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે.
નાગરિકોએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા પગલાં ભરવાની માંગ કરી છે, જેથી રમજાન માસ દરમિયાન શ્રદ્ધાળુઓ તેમજ શહેરજનોને અવરજવરમાં રાહત મળી રહે.
