ભરૂચ
ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળ્યો છે. સવારના સમયે કમોસમી વરસાદ વરસતા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્રણ દિવસ અગાઉ પણ અંકલેશ્વર વિસ્તારમાં માવઠું પડ્યું હતું, ત્યારે ફરી વરસાદી ઝાપટાં પડતાં હવામાનમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
સવારથી જ આકાશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા થી મધ્યમ વરસાદના ઝાપટાં પડતાં લોકોમાં અચંબો ફેલાયો હતો. શહેરમાં ઠંડકનો અહેસાસ વધ્યો હતો અને દૈનિક જીવન પર આંશિક અસર જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થઈ જતા વાહનચાલકોને પણ સાવચેત રહેવું પડ્યું હતું.
વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ સમયગાળા દરમિયાન ઉભા પાક પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, ચણા અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉપરાંત કેરીના પાક માટે પણ આ માવઠું અનુકૂળ ન ગણાય, કારણ કે ફૂલ અને નાની ગાંઠ પર વરસાદની અસરથી ઉપજમાં ઘટાડો થઈ શકે છે.
ખેડૂતોના મતે, અસમયે પડતા વરસાદથી પાકની ગુણવત્તા પર અસર થાય છે અને બજારમાં ભાવ પર પણ અસર પડી શકે છે. હવામાનમાં સતત ફેરફારને કારણે કૃષિ ક્ષેત્રે અનિશ્ચિતતા વધતી હોવાનું જણાય છે.
હાલ તાપમાનમાં ઘટાડો થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ જો આવો જ વરસાદ યથાવત રહેશે તો ખેતી ક્ષેત્રે નુકસાન વધવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
