નામદાર ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ હુકમ મારફતે ભરૂચ જિલ્લાના રહેવાસી અને જમીન અને મહેસૂલ વિષયક બાબતો ના જાણકાર વકીલ સાજિદ કોઠિયા સામે થયેલ ફરિયાદ ના સંદર્ભે તેમની સામેની તપાસ સામે મનાઈહુકમ ફરમાવી દીધેલો છે.
સત્તાવાર સૂત્રો મળેલી માહિતી પ્રમાણે વકીલ સાજિદ કોઠિયા ભરૂચના રહેવાસી છે અને જમીન સંપાદન ,સિવિલ અને મહેસૂલ ના કાયદાના જાણકાર હોઈ, તેને સંલગ્ન અદાલતો તથા સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ છેલ્લા બે દાયકાથી વકીલાતનો વ્યવસાય કરે છે.
તારીખ ૦૬/૦૧/૨૦૨૬ ન રોજ ભરુચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન સમક્ષ એ.એસ.આઈ. દિનેશભાઈ હરિસિંહ રાજપૂત દ્વારા ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલી. જેમાં વકીલ સાજીદ કોઠિયા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવેલા છે. આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવેલ કે વકીલ સાજિદ કોઠિયા એ તારીખ 13.09.2025 ના રોજ મૂળ ફરિયાદીને ભરૂચ જિલ્લાની એક ચોક્કસ જગ્યાએ રૂબરૂ મળીને ભરૂચ જિલ્લાના તાબાની કોર્ટ દ્વારા અપાયેલ છૂટાછેડાના ચુકાદાની નકલ આપેલ, અને એવું જણાવેલ કે તેમને આ ચુકાદા પેટે સવા લાખ નો ખર્ચ થયેલ હતો.
વકીલ સાજિદ કોઠિયાએ આ ખોટી અને દુભાવનાપૂર્ણ ફરિયાદ સામે નામદાર હાઈકોર્ટનો આશરો લીધો હતો. નામદાર હાઇકોર્ટ સમક્ષ કોઠિયા વતી સિનિયર એડવોકેટ મિતુલ શેલત અને વકીલ નિરદ બુચ ઉપસ્થિત રહી વકીલ સાજીદ કોઠિયા અને તેમની પુત્રીના પાસપોર્ટની નકલો રજૂ કરેલ હતી, જેનાથી સ્પષ્ટ થતું હતું કે તારીખ 27 ઓગસ્ટ 2025 ના રોજ વકીલ સાજીદ કોઠિયા તેમની પુત્રી સાથે યુ કે જવા રવાના થયેલ અને ત્યાંથી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ભારતમાં પરત ફરેલ. અને, જે તારીખ અને સમયે કથિત ગુનો થયો હોવાનું કહેવાયું છે, તે સમયગાળા દરમિયાન વકીલ સાજીદ કોઠિયા તેમની પુત્રી સાથે યુ.કે. ખાતે હતા, અને ભારત દેશમાં હાજર જ નહોતા.
નામદાર હાઈકોર્ટે આ નિર્વિવાદ અને દ્રઢ દસ્તાવેજી પુરાવાઓનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યા બાદ, તપાસનીશ અધિકારી ને એડ વોકેટ સાજીદ કોઠિયા ની મુસાફરી અંગે ચકાસણી કરવા જણાવેલ. તપાસનીશ અધિકારી ના જણાવ્યા મુજબ સરકાર ના પોર્ટલ થી કોઠિયા તારીખ 28 ઓગસ્ટ થી તારીખ 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં હાજર ન હોવાની બાબતને પ્રાથમિક દૃષ્ટિએ પુષ્ટિ મળેલ હોઈ, વકીલસાજીદ કોઠિયાની તપાસ વિરુદ્ધ આગામી મુદ્દત સુધી મનાઈહુકમ ફરમાવી દીધેલ છે.
અત્રે નોંધનીય છે કે સાજીદ કોઠિયા દ્વારા નામદાર હાઇકોર્ટમાં કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે તેઓને પોતાના ભાણિયા ના અંગત વ્યાપારી વિવાદના કારણે દુર્ભાવનાપૂર્વક અને બદનિયતથી ફસાવવામાં આવ્યા છે. મૂળ ફરિયાદીને ફરિયાદના અનુસંધાને થયેલી પ્રાથમિક તપાસ બાદ પણ કોઠિયા સામે કોઈપણ પ્રકારનો પ્રથમ દર્શનીય પુરાવો ન હોવા છતાં, તેવી કોઈ પ્રાથમિક તપાસ કર્યા વિના કે વકીલ સાજિદ કોઠિયાનો પક્ષ જાણ્યા વિના ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને ત્યાર પછી પણ તેઓ ફરિયાદ દાખલ થયાના દિવસથી ભારતમાં જ હાજર હોવા છતાં તેમને કેનેડા મુકામે હોવાનું ખોટી અને ભ્રામક રીતે દર્શાવવામાં આવેલ, અને તેમ કરી તેમની પ્રતિષ્ઠાને અનહદ નુકસાન પહોંચાડી તેમના ભારીયા ઉપર આડકતરી રીતે દબાણ લાવવા ફરિયાદ કરેલ હોવાનું જણાવેલ છે.
વકીલ સાજીદ કોઠિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવેલ કે તેઓ સંપૂર્ણ નિર્દોષ છે, અને તેઓને તેમના ભાણીયા ની અંગત અદાવતના કારણે હાથો બનાવવામાં આવેલ છે. તેઓએ વધુમાં જણાવેલ કે તેમને એક વકીલ તરીકે અને ભારતના સંનિષ્ઠ નાગરિક તરીકે ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે, અને તેમને વિશ્વાસ છે કે તેમની સામે થયેલી ફરિયાદ ખોટી, દ્વેષપૂર્ણ અને પાયાવિહોણી હોઈ, તેઓની અરજીમાં તેઓ સફળ થશે.
