કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ 2025-26માં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતથી દેશભરના ખેડૂતોમાં આશા જાગી હતી કે તેમને સસ્તું કૃષિ ધિરાણ મળશે અને વ્યાજ સહાય (Interest Subvention) નો લાભ મળશે.
પરંતુ હકીકત એ છે કે આજદિન સુધી એક વર્ષ સુધી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ નિર્ણય અમલમાં મૂકવા માટે કોઈ સત્તાવાર નોટિફિકેશન અથવા માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. NABARD દ્વારા પણ લેખિત રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને આ અંગે કોઈ સત્તાવાર સૂચના પ્રાપ્ત થઈ નથી. (કોપી સામેલ છે)
આ કારણે દેશભરની ડિસ્ટ્રિક્ટ સહકારી બેન્કો અને અન્ય કૃષિ ધિરાણ સંસ્થાઓ વધારાના ₹2 લાખ પર વ્યાજ સહાય આપી શકતી નથી, જેના કારણે ખેડૂતોને વધારું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા એ આ સ્થિતિ ને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. સરકારને આયનો બતાવતા જણાવ્યું કે બજેટમાં જાહેરાત કરવી સરળ છે, પરંતુ ખેડૂતો સુધી તેનો લાભ પહોંચાડવા માટે સરકારની ઈચ્છાશક્તિ અને વહીવટી કાર્યવાહી જરૂરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી સંદીપ માંગરોલા તરફથી માંગ કરવામાં આવે છે કે:
1. કેન્દ્ર સરકાર તરત જ KCC લોન મર્યાદા ₹5 લાખ સુધી વધારવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડે.
2. વધારાની મર્યાદા પર વ્યાજ સહાય (Interest Subvention) લાગુ કરવાની સ્પષ્ટતા કરવામાં આવે.
3. નોટિફિકેશનમાં થયેલા વિલંબને કારણે ખેડૂતો પાસેથી વસૂલાયેલ વધારું વ્યાજ પરત કરવામાં આવે.
ખેડૂતોના હિત માટે કરવામાં આવેલી જાહેરાતો કાગળ પર જ નહીં રહે, પરંતુ જમીન પર અમલ થાય તે માટે સરકાર તરત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
