અંકલેશ્વર જીઆઈડીસીમાં આવનાર 11 માર્ચ 2026ના રોજ ‘નમોત્સવ’ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો આ કાર્યક્રમ જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલ યુટિલિટી પ્લોટ-૨ મેદાન ખાતે સાંજે 6 વાગ્યે યોજાશે.
આ અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજકોએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં વડાપ્રધાનના બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બન્યા સુધીના જીવનપ્રસંગોને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવશે. લગભગ 100 જેટલા કલાકારો આ સાંસ્કૃતિક રજૂઆતમાં ભાગ લેશે.
પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઇરામ દવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. કાર્યક્રમ દરમિયાન વિશેષ રીતે તૈયાર કરાયેલા દ્રશ્યો અને સામગ્રી દ્વારા વડાપ્રધાન મોદીના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને જીવંત રીતે રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અવની ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ તેમજ અવની ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ મોટી સંખ્યામાં નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ અનોખી સાંસ્કૃતિક રજૂઆતનો લાભ લેવા અપીલ કરી હતી.
