કરજણની મહિલાનું પાલેજ પિયર હોઇ સોનીના સંપર્કમાં હતી
પતિ બિમાર હોઇ તેના માટે દાગીના ગિરવે મુકી રૂપિયા લીધાં હતા
ભરૂચ.
વડોદરાના કરજણ ગામે જુના બજાર વિસ્તારમાં રહેતી જયશ્રી મહેશ પટેલનું પાલેજના રામજી મંદિર પાસે પિયર આવેલું છે. ત્યાં વાણિયા શેરીમાં રહેતા અને મુળ રાજસ્થાનના હિતેશ કાંતીલાલ સોની તેમજ તેમની પત્ની મમતા વર્ષોથી પાલેજમાં રહે છે. તેમના પારિવારિક સંબંધ હોવાથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં. દરમિયાનમાં જયશ્રીબેનના પતિને બિમારીનું ઓપરેશન કરવાનું હોઇ તેમણે તેમના દાગીના ગિરવે મુકી રૂપિયા લીધાં હતાં. સમયજતાં રૂપિયા એકત્ર થઇ જતાં તેઓ તે પરત આપવા જતાં તેમણે તેમના દાગીના બીજે ગિરવે મુકી તેમને રુપિયા આપ્યાં હોવાનુું જણાવી થોડા સમય બાદ પરત કરવાનો વાયદો કરતાં હતાં. જે બાદ તેમના બીજા ઘરેણા પણ ગિરવે મુકે તો તેમને વધુ રુપિયા આપવાની લાલચ આપી તેમની પાસેથી કુલ 9.12 લાખથી વધુના ઘરેણા ગિરવે મુકાવ્યાં હતાં. જે બાદ તેઓ તેમના ઘરેણાં પરત માંગવા જતાં ઘરેણાં પરત નહીં કરી ગલ્લા તલ્લા કરતાં હતાં. દરમિયાનમાં સોની દંપતિ પાલેજ ગામમાંથી ભાગી ગયાં હતાં. તેમણે તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના કોઇ સગડ નહીં મળતાં આખરે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
