વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ નજીક આવેલ પીપરપાણી ગામ પાસે ભયજનક વળાંક ધરાવતા પુલ પરથી કાર નીચે ખાબકવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
માહિતી મુજબ આમખુટા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ ચૌધરી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પીપરપાણી ગામ નજીક આવેલા જોખમી વળાંક પર કારનો કાબૂ ગુમાતા કાર પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને બાદમાં જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાને કારણે હાશકારો ફેલાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પુલીયા પર રેલિંગ ન હોવાના કારણે અગાઉ પણ અનેક વખત અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે. તેથી ગામલોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને આ જોખમી વળાંક પર તાત્કાલિક રેલિંગ લગાવવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
