ભરૂચ તાલુકાના શુક્લતીર્થ તરફ જવાના રોડ પર બનેલી ઘટના
।ભરૂચ !
ભરૂચ તાલુકામાં આવેલાં જનોર ગામે ઈન્દીરા આવાસ ખાતે રહેતાં મીનાબેન વસાવાના પતિ રમેશ મંગળ વસાવા એનટીપીસી કંપનીમાં કેટરર્સનું કામ કરતાં હતાં. ગત ૧૫મીએ તેમના પતિ રમેશ વસાવા તેમની બાઈક પર ગામમાં ઘરવખરીનો સામાન લેવા માટે જવાનું કહી ઘરેથી નિકળી ગયાં હતાં. દરમિયાનમાં દોઢેક કલાક બાદ કળિયામાં લોકોન બુમાબુમ કરતાં તેઓ બહાર નિકળતા તેમના પતિનો અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત ફળિયાના માણસો સાથે શુક્લતીર્થ જવાના રોડ પહોંચતાં તેમના પતિ માથામાં ગંભીર ઈજાઓ થયેલી હાલતમાં પડેલાં મળી આવ્યાં હતાં. તેમજ તેમની બાઈક નજીકમાં પડેલી દેખાઈ હતી.
ઉપરાંત એક રીક્ષા પણ ત્યાં ઊભી હતી. તેમણે તપાસ કરતાં માલુમ પડયું હતું કે, તેમના પતિ બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાં રીક્ષા ચાલકે પાછળથી ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત સુધારા પર ન હોવાની કારવણે તેમને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત કરી ભાગી ગયેલાં રીક્ષા ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
