ભરૂચ.
નવી દિલ્હીમાં સ્થિત Spiritual Trails India Pvt. Ltd. દ્વારા તા. 28 થી 29 માર્ચ 2026 દરમિયાન એક અનોખો રુહાની ઉત્સવ યોજાઈ રહ્યો છે. આ ઉત્સવમાં “વસુધૈવ કુટુંબકમ” – એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે – અને “રુહાનીયત” – એટલે કે આત્માની ઊંડાણભરી એકતા – જેવા બે મહાન આધ્યાત્મિક સંદેશોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે.
આ અવસર પર એક વિશિષ્ટ કેલીગ્રાફી વર્કશોપ અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના પ્રતિભાશાળી કલાકારો પોતાની કલમ દ્વારા વિશ્વભાઈચારાનો સંદેશ પ્રસરાવશે.
આ કાર્યક્રમમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલીગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેન (૪૦ વર્ષથી વધુનો અનુભવ), નવોદિત કલાકાર નરેન્દ્ર કે. સોનાર તેમજ જુનાગઢની પારંપરિક કલાકારીગીરીમાં નિષ્ણાત સરીતાબેન ગલ સહિત અનેક કલાકારો ભાગ લઈ રહ્યા છે.
તેઓ પોતાની કલાના માધ્યમથી એ સંદેશ આપશે કે સમગ્ર માનવજાતે પ્રેમ, સહઅસ્તિત્વ અને ભાઈચારો જાળવી રાખીને એકબીજાની સાથે સુમેળમાં જીવવું જોઈએ. આ પ્રદર્શની માત્ર કલા પ્રદર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ યુવાનો અને સમાજને એકતા અને માનવતાની દિશામાં પ્રેરિત કરવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
પ્રદર્શનમાં અરેબિક, ઉર્દૂ, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષાના અક્ષરોને આધુનિક કેલીગ્રાફી શૈલીમાં રજૂ કરવામાં આવશે, જેના દ્વારા પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સર્જાશે.
વિશેષ રીતે ધ્યાનમાં લેવાની બાબત એ છે કે “રુહાનીયત” સુફી પરંપરાથી પ્રેરિત એક આધ્યાત્મિક અનુભવ છે, જે માનવને ભૌતિકતાથી ઉપર ઉઠાવીને ઈશ્વર સાથેના પ્રેમ અને એકતાની અનુભૂતિ તરફ દોરી જાય છે.
તે જ રીતે “વસુધૈવ કુટુંબકમ” સંસ્કૃતનું એક પ્રાચીન મહાવાક્ય છે, જેનો અર્થ થાય છે – સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. આ વિચાર માનવજાતને જાતિ, ધર્મ, ભાષા અને સરહદોની સીમાઓથી પર લઈ જઈને દરેક જીવને એક જ પરિવારના સભ્ય તરીકે જોવાની દૃષ્ટિ આપે છે. આ સિદ્ધાંત સાચા અર્થમાં કરુણા, સહઅસ્તિત્વ અને વૈશ્વિક ભાઈચારોનો આધાર છે.
આ પ્રસંગે આયોજકોનું કહેવું છે કે: “આ પ્રદર્શની દ્વારા અમે એ દર્શાવવા માંગીએ છીએ કે કલાના માધ્યમથી વિશ્વમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય છે. ‘વસુધૈવ કુટુંબકમ’ માત્ર એક શ્લોક નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે એક જીવનમંત્ર છે.”
