ભરૂચમાં વેરા બાકીદારો માટે રેડ સિગ્નલ : બાકી વેરા પર 18% વ્યાજ અને દૈનિક દંડ લાગુ પડશે
ભરૂચ:
ભરૂચ નગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં આવતી તમામ દુકાનો, વ્યાપારી સંસ્થાઓ અને વિવિધ વ્યવસાયિક એકમોને મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર વર્ષ 2025–2026 માટે બાકી રહેલો વ્યવસાય વેરો તાત્કાલિક ભરવો ફરજિયાત છે.
આ સૂચના હેઠળ હોટલો, પ્રાઈવેટ બેંકો, શાળાઓ, ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, સોલિસીટરો, નોટરી સહિતના કાયદા વ્યવસાય સાથે જોડાયેલા લોકો, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો, કન્સલ્ટન્ટો, એકાઉન્ટન્ટો, આંગડિયા પેઠીઓ તથા સહકારી મંડળીઓ જેવા તમામ ધંધાધારકોનો સમાવેશ થાય છે.
નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી વેરો ન ભરનારાઓને વાર્ષિક 18 ટકા અને માસિક 1.5 ટકા દરે વ્યાજ સાથે રકમ ભરવી પડશે. વધુમાં તા. 6 ઓક્ટોબર 2022ના ગુજરાત સરકારના પરિપત્ર મુજબ આવા બાકીદારો સામે દૈનિક દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
નગરપાલિકાએ વેપારીઓને ચેતવણી આપી છે કે સમયસર વેરાની ચુકવણી ન કરવામાં આવે તો કોર્ટ મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી તમામ વ્યાપારીઓ અને સંસ્થાઓને સમયસર વેરો ભરીને દંડ અને કાયદાકીય કાર્યવાહીઓથી બચવા અપીલ કરવામાં આવી છે.
